ગાંધીનગરઃ દહેગામ બેઠક પર જ્યારથી કામીનીબા રાઠોડના નામની ઉમેદવાર તરીકે બાદબાકી થઈ છે ત્યારથી જ ભારે ઉહાપોહ મચ્યો છે. કોંગ્રેસે જેવી આ બેઠકના ઉમેદવાર તરીકે કામીનીબાની બાદબાકી કરી કે ત્યાં જ કામીનીબાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ ઉપરાંત કાર્યકરો સાથે બેઠક કરીને પછી પોતાનો નિર્ણય કરવાનું પણ કહ્યું હતું. ઉપરાંત તેમણે લોભ લાલચે ટિકિટ વહેંચણી થઈ છે કે કેમ તે અંગે સવાલ પણ ઉઠાવ્યા હતા. દરમિયાનમાં તે અને અન્ય કોઈ વ્યક્તિ વચ્ચે ટિકિટને લઈને ભાવતાલ થતો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત તક આ ઓડિયોની પુષ્ટી કરતું નથી. આ ઓડિયો અંગે હજુ પણ સત્તાવાર કોઈ નિવેદન ન તો કામીનીબા તરફથી કે ન કોંગ્રેસ તરફથી મળ્યું.
ADVERTISEMENT
ઓડિયો સાથે કામીનીબાના નામ પર લખેલો મેસેજ પણ વાયરલ
આ દરમિયાનમાં એક કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં 1 કરોડમાં ટિકિટનો ભાવ નક્કી કરી બેઠકની હાર કે જીત તેનો કોઈ મતલબ ન હોવાનું કહેવાય છે. જોકે આ ઓડિયોની પુષ્ટી હજુ સુધી થઈ શકી નથી. આ કથિત ઓડિયો સાથે એક મેસેજ પણ ફરતો થયો છે. જેમાં લખાયું છે કે મને ટિકિટ માટે 1 કરોડ માટે માગ કરી હતી પણ બધાને પાર્ટી લિડરને આપવાની છે ત્યારે તમારી ટિકિટ ફાઈનલ થશે પછી અમે કહ્યું 50નું બોલી જોઈએ. મને કમિટમેન્ટથી મતલબ છે જીતે હારે તે વાતથી નહીં. કદાચ એટલે જ મને ટિકિટ નથી આપી. આ તમારી જાણકારી માટે છે સર આપને મોકલ્યું છે સર, લોકો પાર્ટીથી દુર થઈ રહ્યા છે.- કામીનીબા રાઠોડ. જોકે આ ઓડિયો અને તેના સાથે ફરતા મેસેજ પર ભરોસો કેટલો કરવો તે પ્રશ્ન છે, પરંતુ હાલના ચૂંટણીના ગરમાગરમીના માહોલ વચ્ચે આ પ્રકારના આરોપો છેલ્લા ઘણા સમયથી પાર્ટી અને નેતાગીરી પર લાગી રહ્યા છે.
સમર્થકો સાથે ચર્ચા કરી નિર્ણય કરીશઃ કામીનીબા
કોંગ્રેસે થોડા જ દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં દહેગામ બેઠક પરથી વખતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ બેઠક પર ઉમેદવારી માટે પૂર્વ ધારાસભ્ય કામીનીબાને પણ પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. કામીનીબા અગાઉ પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હોઈ આ બેઠક પર ફરી તેઓ ટિકિટની દાવેદારી કરે તે સ્વાભાવીક હતું, પરંતુ જ્યારે પક્ષે તેમને ટિકિટ આપી નથી ત્યારે તેઓ અને તેમના સમર્થકો નારાજ થયા છે. તેમનું કહેવું છે કે તેઓ અપક્ષ ઉમેદવારી કરશે કે કેમ તે મુદ્દે પોતાના સમર્થકો સાથે ચર્ચા કરશે અને તે પછી જે કાંઈ નિર્ણય હશે તે જાહેર કરશે. દહેગામ વિધાનસભા બેઠકના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કામીનીબા રાઠોડ હવે નારાજ થયા છે. ટિકિટ નહીં મળતા નારાજ થયેલા કામીનીબા આગામી દિવસોમાં નવા જુની કરે તેવા એંધાણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉથી જ ગુજરાત કોંગ્રેસના નારાજ સમર્થકો દ્વારા અમદાવાદની કોંગ્રેસની ઓફીસ પર તોડફોડ અને હંગામો મચાવ્યો હતો. આવી જ નારાજગી ગોધરામાં પણ જોવા મળી હતી જ્યાં પથ્થરમારો પણ થયો હતો. હવે દહેગામમાં પણ મામલો ઉકળી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
