INDvAUS ટેસ્ટ: મોદી સ્ટેડિયમ બહાર સવારથી ક્રિકેટ રસિકોની ભારે ભીડ, 1 લાખથી વધુ દર્શકો હાજર રહેવાનો અંદાજ

Yogesh Gajjar

09 Mar 2023 (अपडेटेड: Mar 9 2023 2:10 AM)

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. 1.32 લાખની કેપેસિટી ધરાવતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે…

gujarattak
follow google news

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. 1.32 લાખની કેપેસિટી ધરાવતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM પણ હાજર રહેવાના છે. એવામાં આ ટેસ્ટનો રોમાંચ વધી જશે. ત્યારે મેચ શરૂ થતા પહેલા સવારથી જ મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને PM મોદીને જોવા તથા તેમના ફેવરિટ ક્રેકિટરોને રમતા જોવા અમદાવાદ જ નહીં સુરત, રાજકોટથી પણ ક્રિકેટ રસિકો આવી રહ્યા છે. સ્ટેડિયમમાં પ્રથમ દિવસે જ 1 લાખથી પણ વધુ દર્શકો હાજર રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો

શું હોઈ શકે સંભવિત પ્લેઈંગ-11?
ભારતની સંભવિત પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ. ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ-11: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નેસ, માર્નસ કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, ટોડ મર્ફી, મેથ્યુ કુહનમેન.

શું હશે વડાપ્રધાનનો કાર્યક્રમ?
ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ જોવા માટે PM નરેન્દ્ર મોદી 8મી માર્ચે રાત્રે 10 વાગ્યે અમદાવાદ પહોંચી જશે. વડાપ્રધાન ગવર્નર હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ 8મી માર્ચે અમદાવાદ પહોંચશે. બંને વડાપ્રધાન 9મીએ સવારે લગભગ 8 વાગ્યે સ્ટેડિયમ પહોંચશે. મેચની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બંને દેશના ક્રિકેટ ખેલાડીઓને મળશે. અહીં બંને વડાપ્રધાન લગભગ 2 કલાક એટલે કે 10 થી 10-30 સુધી અહીં રોકાશે.

ઓસ્ટ્રેલિયન PM સાથે મોદી પણ દેખાશે કોમેન્ટ્રી બોક્સમાં
આ દરમિયાન એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બંને મેચ જોઈ શકે છે અને મેચ દરમિયાન કોમેન્ટ્રી પણ કરી શકે છે. જ્યાં વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાંથી નીકળ્યા બાદ સીધા રાજભવન જશે. જ્યાંથી બપોરે 2 વાગે દિલ્હી જવા રવાના થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ પહેલી વખત અમદાવાદમાં ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વર્તમાન બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું છે અને સીરિઝમાં 2-1ની લીડથી આગળ છે. ખાસ તો ભારત છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી એવામાં આ ટેસ્ટ પણ જીતીને ટીમ ઈન્ડિયાનો ઈરાદો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન નક્કી કરવાનું હશે.

મેચને પગલે મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો
બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ટેસ્ટ મેચના પગલે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 9મી માર્ચથી શરૂ થતી એટલા માટે 9 થી 13 માર્ચ વચ્ચે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 9 માર્ચે મેચને પગલે મેટ્રો સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. ઉપરાંત, 12 મિનિટની ફ્રીક્વન્સી સેટ કરવામાં આવી છે. એટલે કે તમે દર 12 મિનિટે મેટ્રો મેળવી શકો છો. આ સિવાય 10 થી 13 માર્ચ દરમિયાન મેટ્રોનો સમય સવારે 7 થી રાત્રે 10 સુધી રાખવામાં આવ્યો છે. આ દિવસે પણ ફ્રીક્વન્સીને વધારીને 12 મિનિટ કરવામાં આવી છે.

    follow whatsapp