Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. નેતાઓ દ્વારા સભાઓ ગજવવામાં આવી રહી છે અને ઉમેદવારો દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં શંકર ચૌધરીએ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ-1ના પ્રકરણ-9ના નિયમનો ભંગ કર્યાનો અને ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શંકર ચૌધરીએ ઉમેદવારની તરફેણમાં કર્યો હતો પ્રચાર
આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું છે કે, વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષનો પ્રચાર કરી શકતા નથી, તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો હતો. જે ગંભીર બાબત છે.
વિધાનસભાના અધ્યક્ષ પ્રચાર કરી શકે નહીંઃ મનિષ દોશી
તેઓએ જણાવ્યું કે, ચૂંટણીની જાહેરાત બાદથી આચારસંહિતા લાગુ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત છે. જ્યારે કોઈ અધ્યક્ષ પદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1’ ના પ્રકરણ-9ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. ‘જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી’
ચૂંટણી પંચને વીડિયો પુરાવા સાથે કરી ફરિયાદ
ડૉ. મનિષ દોશીએ જણાવ્યું છે કે, 'ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલ છે. જે ગંભીર બાબત છે.' આ મામલે તાત્કાલિક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડિયો પુરાવા સાથે ફરીયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.
ADVERTISEMENT