શાર્દુલ ગજ્જર.ગોધરાઃ દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે અને હાલમાં ગુજરાતમાં આદર્શ આચાર સંહિત્તા લાગુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિત્તા જાહેર કરવામાં આવી છે. જેને પગલે બોર્ડર પરથી કોઈ પણ પ્રકારે કેફી પદાર્થ કે હથિયારોની હેરફેર શક્ય ન બને તે માટે પોલીસ સજ્જ બની છે. કારણ કે ગુજરાતમાં ચૂંટણી દરમિયાન ક્યાંક કોઈ મતદાતાને લોભ લાલચ કે ડરનો માહોલ ઊભો થાય નહીં તેની તકેદારી રાખવાની ફરજ પણ તંત્રની છે. તંત્ર તેના માટે પણ સજ્જ છે તે દર્શાવતાની સાથે દાહોદને અડીને આવેલી વિવિધ બોર્ડર્સ પર 24 નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે જેમાં પોલીસ દ્વારા 24 કલાક સઘન ચેકિંગ ઉપરાંત સીસીટીવી પણ લગાવવામાં આવશે જેનાથી પણ સતત મોનિટરિંગ થતું રહેશે.
ADVERTISEMENT
SP બલરામ મીણાએ જાણો શું કહ્યું
વિધાન સભાની ચૂંટણી 2022 ની તૈયારીઓના ભાગરૂપે આજે તા.૦૮/૧૧/૨૦૨૨ સવારે દાહોદ જિલ્લા DSP બલરામ મીણા ગુજરાત અને મધ્ય પ્રદેશની આંતરરાજ્ય બોર્ડર ખંગેલા ખાતે જિલ્લામાં ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લગાવેલા ઇન્ટર સ્ટેટ, ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ચેક પોસ્ટ નિરીક્ષણ અર્થે ટીમ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. તેઓએ ત્યાં જણાવ્યું હતું કે દાહોદને અડીને રજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદો આવેલી છે. જેને ધ્યાનમાં રાખી 24 નવી ચેકપોસ્ટ ઊભી કરે દરેક આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે અને દાહોદની બોર્ડરથી કેફી પદાર્થો કે વિદેશી દારૂ અથવા તો હથિયારો અને ગેરકાયદે રૂપિયાની હેરફેર ના થાય તે માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોસવી સાથે ચર્ચા કરી તમામ પાસાઓને ધ્યાને લઈ તૈયારીઓ થઈ ચૂકી છે અને જેના ભાગ રૂપે આજે તેઓ ખંગેલાની આંતરરાજ્ય બોર્ડર ઉપર વિઝિટ માટે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પત્રકારો સાથે વાતચિતમાં આ તમામ માહિતી આપી હતી.
ADVERTISEMENT
