Anand News: આણંદ જિલ્લાના તારાપુરમાં સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારીના કારણે ખેડૂતોને મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. નહેર ઓવરફ્લો થઈ જવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટી સંખ્યામાં ટામેટાના ઊભા પાકને નુકસાન થયું હતું. જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ADVERTISEMENT

200 વીઘા જમીન પર પાણી ફરી વળ્યું
આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલા ટોલ ગામ પાસેથી પસાર થતી નહેર ઓવરફ્લો થઈ ગઈ હતી. જેના કારણે ગામની સીમમાં આવેલી 200 વીઘા જેટલી જમીનમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ કારણે ખેતરમાં તૈયાર ટામેટાના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ટામેટાનો બધો પાક ખરાબ થઈ જતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતોએ કરી વળતરની માંગ
ખેડૂતોનો આરોપ છે કે, નહેરમાં પાણી ઓવરફ્લો થવા મુદ્દે વારંવાર સિંચાઈ વિભાગને સાવધાની રાખવા જાણ કરાઈ છે, તેમ છતાં બેદરકારીના કારણે ભારે નુકસાન થયું છે. ગરમીમાં કનેવાલ તળાવને ભરવા માટે નહેરોને એટલી બેદરકાર રીતે ખુલ્લી છોડી દેવામાં આવે છે, જે ઓવરફ્લો થયા બાદ પાણીનો તો બગાડ થાય છે, સાથે ખેતરમાં ઊભા પાકને પણ નુકસાની થાય છે. ખેડૂતો આ મામલે સિંચાઈ વિભાગની બેદરકારીથી થયેલા નુકસાન સામે વળતરની માંગ કરી રહ્યા છે.
(ઈનપુટ: હેતાલી શાહ, આણંદ)
ADVERTISEMENT
