મોરબી : શહેરનાં વાંકાનેરના વઘાસિયાના ગેરકાયદેસર ટોલનાકા મામલે અનેક ખુલાસા થયા છે. જેમાં બોગસ ટોલનાકામાં દરરોજ લાખો રૂપિયાની આવક થતી હોવાના ખુલાસા થયા હતા. દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાનાં માલિકને 5 કરોડ રૂપિયાની આવક થઇ હતી. બોગસ ટોલનાકામાંથી દરરોજ હજારો વાહનની અવર જવર થતી હતી. ફોર વ્હીલના 50, ટ્રક અને મોટા વાહનના 200 રૂપિયા વસુલવામાં આવતા હતા. જયરામ પટેલના દીકાર અમરશી પટેલ અને અન્ય લોકો આ કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાની ઉઘરાણી છતા પણ તંત્ર મૌન હતું.
ADVERTISEMENT
મોરબીના વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સમગ્ર મામલે હાઇવે ઓથોરિટી દ્વારા અનેક ફરિયાદો છતા પણ જિલ્લાના કલેક્ટરથી માંડીને એસપી સુધી તમામ લોકો ચુપ હતા. જેથી આ ટોલનાકા પાછળ માત્ર ભેજાબાજો જ નહી પરંતુ મોટા વગદારો પણ તેમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. આ મામલે જેરામ પટેલના દિકરાનું નામ આવ્યા બાદ જેરામ પટેલે સમગ્ર મામલે પોતાનો તથા પોતાના પરિવારનો છેડો ફાડી નાખ્યો હતો.
જો કે સમગ્ર મામલો માધ્યમોમાં આવ્યા બાદ સરકાર અચાનક કોઇ ચમરબંધીઓને નહી છોડવામાં આવે મોડમાં આવી ચુકી છે. ફરી એકવાર થડને છોડીને ડાળખાઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ તો વિવિધ પોલીસ ટીમ બનાવીને તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ કરી રહી છે.
ADVERTISEMENT
