Gujarat Politics News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ગુજરાતમાંથી કોંગ્રેસને ઝટકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ડૉ.સી.જે ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું.
પક્ષ પલટાની મૌસમ ખીલી
લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષ પલટાની મૌસમ ખીલી છે. કોંગ્રેસના સિનિયર નેતા અને વિજાપુરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડા (C.J Chavda)એ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. સી.જે ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય સી.જે ચાવડાના રાજીનામા બાદ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો સી.જે ચાવડાના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 179 થયું છે. તો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 16થી ઘટીને 15 થઈ ગઈ છે.
ભાજપની ટિકિટ પર લડશે ચૂંટણી!
વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાના રાજીનામા બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશ અને તેઓને ફરીથી વિજાપુરની બેઠક પરથી જ ચૂંટણી લડશે.
ચિરાગ પટેલે આપ્યું હતું રાજીનામું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું.કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપ્યું હતું. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના સૂર બદલાયા હતા. તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. કારણ કે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ છે. કોંગ્રેસનું બોલવાનું કંઈક અને કરવાનું કંઈક એવું કામ છે. આ માનસિકતાભર્યા વાતાવરણમાં વધારે સમય રહી ના શકાય એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની લાગણી અને ભાવનાઓને માન આપીને મેં રાજીનામું આપી દીધું છે. તો ચિરાગ પટેલ પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.