- વડોદરા બોટ દુર્ઘટના મામલે FSLની તપાસનો રિપોર્ટ જાહેર કરાયો.
- બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યા હોવાથી ઓવરલોડિંગથી દુર્ઘટના સર્જાઈ.
- દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા.
Vadodara News: વડોદરા શહેરમાં આવેલા હરણી લેકમાં થયેલી દુર્ઘટનામાં એક બાદ એક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. આ વચ્ચે દુર્ઘટનાને લઈને FSLની તપાસનો રિપોર્ટ આવી ચૂક્યો છે. જેમાં લેક ઝોનનું સંચાલન કરનારાઓની ગંભીર બેદરકારી સામે આવી છે.
ADVERTISEMENT
FSL રિપોર્ટમાં શું સામે આવ્યું?
વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, ક્ષમતા કરતા વધુ બાળકો ભરવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. બોટ ઓવરલોડ હતી અને ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં બેસાડવામાં આવ્યા હતા. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટનું વજન દોઢ ટન જેટલું થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. આવી જગ્યાએ 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા હોવાથી ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઈ હતી. બોટ બનાવનારી કંપનીએ પણ કહ્યું હતું કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી.
14 લોકોના દુર્ઘટનામાં મોત થયા હતા
નોંધનીય છે કે, વડોદરા હરણી લેક દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે 18 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલના સંચાલકોએ પણ પ્રવાસ માટે DEO પાસેથી કોઈ મંજૂરી લીધી નહોતી. જેને લઈને સ્કૂલે પોતાની ભૂલ સ્વીકારતા DEOએ કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
