Surat: સ્કૂલ બસનો ડ્રાઈવર દારુ પીને બન્યો બેફામ, બાળકોના જીવ જોખમમાં મૂકી બે-બે વખત અકસ્માત સર્જ્યો

Gujarat Tak

29 Apr 2024 (अपडेटेड: Apr 29 2024 5:37 PM)

Surat News: સુરતમાં સ્કૂલના બાળકો સાથે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. કડક દારૂબંધીની વાતો વચ્ચે પણ સુરતમાં સ્કૂલ બસના ડ્રાઈવરે દારૂના નશામાં વાહન હંકાર્યું હોવાના આરોપ લાગ્યા છે.

Surat News

Surat News

follow google news

Surat News: સુરતમાં સ્કૂલના બાળકો સાથે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. કડક દારૂબંધીની વાતો વચ્ચે પણ સુરતમાં સ્કૂલ બસના ડ્રાઈવરે દારૂના નશામાં વાહન હંકાર્યું હોવાના આરોપ લાગ્યા છે. દારૂના નશામાં બસ ચાલકે 2-2 વખત બસનો અકસ્માત સર્જ્યો. આખરે વિદ્યાર્થીઓ બસમાંથી ચાવી કાઢીને તમામ અન્ય બાળકોનો જીવ બચાવ્યો હોવાની વિગતો સામે આવી છે. ખુદ વિદ્યાર્થીએ આ મામલે ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો

દારૂના નશામાં ડ્રાઈવરે સ્કૂલ બસ ચલાવી

વિગતો મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી મહેશ્વરી વિદ્યાલયની સ્કૂલ બસમાં રોજ મુજબ બેસીને વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ રહ્યા હતા. સ્કૂલના ધો.10ના એક વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, તે બસમાં ઊંઘી રહ્યો હતો. આ દરમિયાન બસ ક્યાંક અથડાઈ હતી. આ બાદ બસ બીજી વખત અથડાઈ અને બસમાં સવાર વિદ્યાર્થીઓ બુમો પાડી રહ્યા હતા. ડ્રાઈવર પાસે જઈને જોતા તે દારૂના નશામાં હોવાનું લાગતું. વિદ્યાર્થીઓએ બસ રોકાવીને બસમાંથી ચાવી કાઢી લીધી. 

વિદ્યાર્થીએ બસ રોકાવી ચાવી કાઢી લીધી

આ બાદ સ્થાનિક લોકો પાસે મદદ માગી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું કે, બસમાં 50થી 55 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. બસ અથડાવવાના કારણે 2 જેટલા વિદ્યાર્થીઓને માથામાં ઈજા પહોંચી છે. ત્યારે અહીં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જો વિદ્યાર્થીઓએ જાગૃત થઈને ડ્રાઈવરને રોકીને બસની ચાવી ન કાઢી હોત તો ગંભીર અકસ્માત સર્જાયો હોત.

હરિયાણામાં સ્કૂલ બસ અકસ્માતમાં બાળકોના ગયા હતા જીવ

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ હરિયાણામાં એક સ્કૂલ બસનો અકસ્માત થયો હતો. જેમાં 6 બાળકોના મોત થયા હતા. જ્યારે 12થી વધુ બાળકોને ઈજા પહોંચી હતી. 35થી 40 બાળકોને લઈને જતી બસ પલટી મારી જતા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ આરોપ લાગ્યો હતો કે ડ્રાઈવર દારૂના નશામાં હતો. ત્યારે સુરતમાં નાના ભૂલકાઓની સમજદારીથી મોટી જાનહાનિ થતા ટળી ગઈ.

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
 

    follow whatsapp