Surat News: સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આણંદ જિલ્લા પોલીસ પર સણસણતા ગંભીર આક્ષેપો લગાવતા હડકંપ મચી ગયો છે. તેમણે પત્રમાં આણંદ પોલીસ પર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
હર્ષ સંઘવીને લખ્યો પત્ર
ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવેલ પત્રમાં જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં આવેલ વાસદ ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતાં સુરતના લોકોની (GJ-05) પાર્સિંગની કાર પોલીસ દ્વારા ચેકિંગના બહાને ખોટી રીતે રોકવામાં આવે છે. આણંદ જિલ્લા પોલીસ 15-20 લોકોના ટોળામાં ઉભા રહી કારને ઉભી રાખે છે. ચેકિંગના બહાને ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે.

‘ગુનેગાર જેવું કરે છે પોલીસ વર્તન’
તેમણે લખ્યું છે કે, તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા ગાડી કરી ગમે તેમ વર્તન કરવામાં આવે છે. જે વાહનમાલિક દ્વારા કોઈપણ રજૂઆત કરવામાં આવે અથવા મોબાઈલ કોઈની સાથે વાત કરવા માટે આપે તો પોલીસ મોબાઈલ જપ્ત કરી લે છે. કોઈ મોટા આતંકવાદી કે ગુનેગારો હોય તેવું વર્તન પોલીસ લોકો સાથે કરે છે.
કાર્યવાહી કરવા ગૃહમંત્રીને માંગ
તેઓએ છેલ્લે લખ્યું છે કે, આ બાબતને ગંભીરતા પૂર્વક લઈને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા મારી માંગણી છે.
(સ્ટોરીઃ સંજયસિંહ રાઠોડ, સુરત)