રાજકોટ ભાજપમાં ફરી આંતરીક જૂથવાદ, સાંસદે જાહેર કાર્યક્રમમાં કહ્યું- રાજકોટ મનપામાં કૌભાંડ થાય છે

Rajkot News: ગુજરાતમાં ફરી ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જેમાં ભાજપ સાંસદ અને મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામ સામે આવી ગયા. જે બાદ…

gujarattak
follow google news

Rajkot News: ગુજરાતમાં ફરી ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જેમાં ભાજપ સાંસદ અને મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામ સામે આવી ગયા. જે બાદ સાંસદે મનપાના કથિત કૌભાંડ અંગે વાત કરતા મંત્રી રાઘવજી પટેલે મામલો શાંત પાડ્યો હતો. પરંતુ કાર્યક્રમમાં જાહેરમાં જ ભાજપમાં જૂથવાદ સામે આવતા રાજકીટ અટકળો તેજ બની છે.

ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ-કમિટી ચેરમેન સામ સામે

વિગતો મુજબ, રાજકોટના વોર્ડ નં.3માં ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ રામ મોકરિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સામ સામે આવી ગયા હતા. જે બાદ સાંસદ રામ મોકરિયાએ મનપામાં ચાલતા કથિત કૌભાંડ અંગે નિવેદન આપતા વિવાદ થયો. જેથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સામે જવાબ આપતા કહ્યું- ખોટી વાત ન કરો, પુરાવા આપો.

મંત્રી રાઘવજી પટેલે મામલો થાળે પાડ્યો

જોકે કાર્યક્રમમાં જ ભાજપ સાંસદ અને હોદ્દેદાર વચ્ચે બોલાચાલી થતા આખરે મંત્રી રાઘવજી પટેલને મામલો થાળે પાડવા મધ્યસ્થી કરવી પડી હતી. આ પહેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય વખતે પણ સાંસદે કહ્યું કે, કપૂર નકલી આવી ગયું છે, પછી દીપ અને મનપા બંને સળગશે.

ઘટના બાદ જયમીન ઠાકરે શું કહ્યું?

જોકે બાદમાં વિવાદ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું હતું કે, મારે અને રામભાઈને કોઈ વિવાદ થયો જ નથી. શહેરમાં થતાં જાહેર કાર્યક્રમોમાં કોર્પોરેશન દ્વારા સાંસદ તેમજ ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવે છે. વોર્ડ નં 3માં જે કાર્યક્રમ હતો તેમાં કોર્પોરેશનના પદાધિકારી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ રામભાઇ દ્વારા કોઈ નેતા દ્વારા આમંત્રણ આપવામાં આવે તેવી ઈચ્છા હતી જે અમે સ્વીકારી છે.

    follow whatsapp