Jaysukh Patel News: મોરબી ઝુલતો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં આરોપી અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ લાંબા સમયથી જેલમાં બંધ છે. જેલમાંથી બહાર આવવા માટે જયસુખ પટેલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. જેના પર ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સરકારી વકીલે જયસુખ પટેલને જામીન મળવાના પક્ષમાં પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.
ADVERTISEMENT
સરકારી વકીલે કોર્ટમાં શું કહ્યું?
હાઈકોર્ટમાં સરકારી વકીલ દ્વારા કહેવાયું હતું કે, જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તે સામે સરકારને કોઈ વાંધો નથી. ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે તથા કેસમાં સાક્ષીઓ પણ વધારે હોવાથી સમય લાગે એમ છે. એવામાં જેલમાં રહેવાથી જયસુખ પટેલના ઉદ્યોગો પર અસર પડી રહી છે. તો બીજી તરફ સરકારી વકીલ દ્વારા જયસુખ પટેલના જામીનને સમર્થન કરાતા દુર્ઘટનામાં મૃતકોના પરિજનોએ હાઈકોર્ટમાં વિનંતી કરી છે કે જયસુખ પટેલને જામીન આપવામાં ન આવે.
અગાઉ કોંગ્રેસી નેતાએ કર્યું હતું જયસુખ પટેલનું સમર્થન
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જયસુખ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ પત્રકાર પરિષદ યોજીને તેમને નિર્દોષ બતાવાયા હતા. કોંગી નેતાઓએ SITના રિપોર્ટ પર ગંભીર આક્ષેપ કરીને અધિકારીઓને બચાવવા કોન્ટ્રાક્ટરોને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ સરકાર પર લગાવ્યો હતો. સાથે મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ADVERTISEMENT
