IAS Saumya Sharma: 16 વર્ષની ઉંમરે ગુમાવી શ્રવણ ક્ષમતા, 4 મહિનાની તૈયારીમાં ક્રેક કરી UPSC

તમે અત્યાર સુધીમાં ઘણા IAS ઓફિસરોની કહાનીઓ સાંભળી અને વાંચી હશે. આજે અમે તમને એક એવા IAS ઓફિસરની કહાની જણાવીશું, જેમણે 16 વર્ષની ઉંમરે શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. છતાં હિંમત હાર્યા વગર તનતોડ મહેનત કરીને IAS ઓફિસર બન્યા.

અમે જેમની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે IAS સૌમ્યા શર્મા. તેઓ મૂળ દિલ્હીના રહેવાસી છે. તેમણે પોતાનું સ્કૂલિંગ દિલ્હીથી જ કર્યું હતું.

તેઓ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા.સૌમ્યા શર્મા જ્યારે ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓએ શ્રવણ ક્ષમતા ગુમાવી દીધી હતી. જેના કારણે પરિવારની ચિંતા ઘણી વધી ગઈ હતી. જોકે, તેમણે નિરાશ થવાને બદલે પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો.  

તેઓએ ઈન્ટરમિડિયેટ પછી 5 વર્ષના ઈન્ટિગ્રેટેડ લૉ કોર્સ માટે તેમણે નેશનલ લૉ સ્કૂલમાં એડમિશન લીધું હતું. લૉનો અભ્યાસ કરતી વખતે તેમણે UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.

સૌમ્યા શર્માંની પાસે તૈયારી માટે ઘણો ઓછો સમય હતો, તેથી તેઓ દરરોજ 10થી 15 કલાક અભ્યાસ કરતા હતા.

આ માટે તેઓ કોઈ કોચિંગમાં જોડાયા નહોતા, તેઓએ સેલ્ફ સ્ટડી પર આધાર રાખ્યો હતો.

તેઓએ જ્યારે પોતાનો પ્રથમ પ્રયાસ કર્યો, ત્યારે તેઓ પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષાને પાસ કરીને ઈન્ટરવ્યુ સુધી પહોચી ગયા હતા.

ઈન્ટરવ્યુમાં સારું પ્રદર્શન કરતા તેમણે નવમો રેન્ક હાંસલ કર્યો અને IAS ઓફિસર બની ગયા.