ક્ષત્રિયોના વિરોધ વચ્ચે PM મોદીની જામસાહેબ સાથે સૂચક મુલાકાત
લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોમાં આક્રોશ વ્યાપી ગયો છે.
ક્ષત્રિયો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં ન આવતા ક્ષત્રિયો ઠેર-ઠેર વિરોધ કરી રહ્યા છે. રાજ્યના વિવિધ સ્થળોએ ક્ષત્રિય અસ્મિતા આંદોલન કરવામાં આવી રહ્યું છે.
આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી અત્યાર સુધીમાં ડીસા, હિંમતનગર, આણંદ, વઢવાણ અને જૂનાગઢમાં સભા યોજી ચૂક્યા છે.
ત્યારે જામનગરમાં સભા પહેલા પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને જામસાહેબે પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું.
જામનગર પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામસાહેબ શત્રુશલ્યસિંહજીના નિવાસસ્થાને ગયા હતા અને તેમની સાથે અદ્ભુત વાર્તાલાપ કર્યો હતો.
આ મુલાકાતની તસવીરો ખુદ પીએમ મોદીએ શેર કરી હતી. તેમણે તસવીર શેર કરીને લખ્યું કે, જામનગરમાં જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીના નિવાસસ્થાને તેમના આશીર્વાદ લીધા. તેમને મળવું હમેશા આનંદદાયક હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની સાથે-સાથે ભાજપનો પણ વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.